રાહુલ અને તેજસ્વીએ PM મોદીને ઝાટક્યા: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું- "આ NDAનું મંત્રીમંડળ નથી, પરિવાર મંડળ", કહેવા અને કરવાનો આ ફરક એટલે નરેન્દ્ર મોદી
- 12 Jun, 2024
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને રાજદ નેતા તેજસ્વી યાદવે એનડીએ સરકારની નવી કેબિનેટને લઈને પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ તેને પરિવારમંડળ કહીને એનડીએના તે મંત્રીઓનું લિસ્ટ જાહેર કર્યું છે, જેમના પરિવારના સભ્યો રાજકીય પાર્ટીઓમાં છે. બીજી તરફ બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યું કે રાજકારણમાં પરિવારવાદના સૌથી મોટા સંરક્ષણકર્તા, પાલનકર્તા અને પોષણકર્તા જ પરિવારવાદ પર લાંબું પ્રવચન આપે છે.
રાહુલે ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે પેઢીઓના સંઘર્ષ, સેવા અને બલિદાનની પરંપરાને પરિવારવાદ કહેનાર જ પોતાના "સરકારી પરિવાર"ને સત્તાનો વારસો આપી રહ્યાં છે. કહેવા અને કરવાના આ ભેદને નરેન્દ્ર મોદી કહેવાય છે.
તેજસ્વી યાદવે ટ્વિટ કરીને કહ્યું કે રાજકારણમાં પરિવારવાદના સૌથી મોટા સંરક્ષણકર્તા, પાલનકર્તા અને પોષણકર્તા જ પરિવારવાદ પર લાંબાં અને મોટા પ્રવચનો આપે છે. તેમણે વધુમાં કહ્યું કે કથિત વારસાગત પાર્ટીઓના પગલે જ આજે તેમની સરકાર શ્વાસ લઈ શકે છે. તેમના કરવાના અને કહેવાના ભેદને આપણા મહાન દેશના મહાન લોકો સમજે છે.